દાદાજી જિદુનાથ એટલે કલ્યાણીને માતા-પિતાનો પ્રેમ આપી ઉછેરનાર. પચાસ વરસ સુધી એકલરામની બેફિકર મસ્ત જિંદગી ગાળનારા દાદાજી - જિદુનાથ સોળ વર્ષ પહેલાં નદી 'કિનારે ફરવા ગયા ત્યાં તરત જન્મેલી બાળકીને જોઈ. દાદાજી અનુકંપાથી પ્રેરાઈને ઘેર લાવ્યાં
દાદાજીને જેના પર શ્રદ્ધા હતી તેવા નંદુબહેન, રેખાબહેન, કાશીમાએ બાળકીને રાખવાની ના પાડી. પણ દાદાજી મક્કમ હતાં. તેણે આ બાળકી - કલ્યાણીને ઉછેરવાનું નક્કી કર્યું. ઘરબાર વગરની ને માતાપિતાથી ત્યજાયેલી કન્યાને ઉછેરીને મોટી કરી. પોતાને નહિ આવડે એવા ડરથી ઊલટું એમણે વધુને વધુ કાળજીપૂર્વક એનું જતન કર્યું.
જિદુનાથની ઉંમર થતાં તેમને કલ્યાણીની ચિતા થવા લાગી. કલ્યાણી માટે દાદાજીએ કેટલીય મહેનત પછી એક ખાનદાન કુટુંબ શોધી કાઢયું. છોકરાના પક્ષે કુટુંબ પણ નાનું હતું તેના કુટુંબમાં છોકરો, તેની ઘરડીમા અને નાની બહેન હતા. છોકરો પૈસે-ટકે બહુ સુખી ન હતો. પણ ક્રાંતિમાન, સંસ્કારી અને કુલીન હતો. તેવા છોકરા સાથે કલ્યાણીનું લગ્ન નક્કી કરી નાખ્યું જેથી તેમની લાડકવાયી કલ્યાણી સુખી થાય
જિદુનાથે કલ્યાણીને ઉછેરીને મોટી કરી પણ તેને વિદાય આપતા ચોધાર આંસુએ રડી પડ્યાં. શકુંતલા વિદાય વખતે ઋષિ પણ કહે છે ને કે 'હું એક ઋષિ થઈ દીકરીની વિદાય વખતે આટલી વેદના અનુભવું છું તો સંસારીનું શું થતું હશે?'
જિદુનાથ કલ્યાણીને વિદાય આપી ભાંગી પડે છે. ખૂબ વેદના અનુભવે છે. અંતે કલ્યાણીને જોતાં જાણે શાંત થઈ જાય છે.