કોઈ અનાથ બાળકને અખૂટ સ્નેહ આપવામાં આવે તો તે સ્વજન પર વિશેષ પ્રેમ આપે છે એવું પાત્ર તે કલ્યાણી. જિદુનાથને સોળ વરસ પહેલા એક નદી કિનારે ફરવા ગયા ત્યારે એક તરત જન્મેલી બાળકી મળી આવી. એ બાળકીને અનુકંપાથી પ્રેરાઈને ઘરે લાવ્યાં.
દિવસો ને રાત્રિઓ વીતતા જાય એમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડને વધતાં વધતાં કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ. કલ્યાણી દુનિયાના વિશાળ પટ પર ફક્ત એક જ વ્યક્તિને ઓળખે છે તે છે એના દાદાજી. દાદાજી એના માથા પરનું આસમાન છે, પગ નીચેની સુગંધિત ધરતી છે. એની આંખો સામેનો પ્યારો સમુદ્ર છે, એના દેહને સ્પર્શીને ચાલી જતી મધુર હવા છે. દાદાજી એના જીવનનો આધાર છે.
કલ્યાણી સંસારજીવનની આંટીઘૂંટીથી અજાણ છે. દાદાજી એને સાસરે જવાની વાત કરે છે તો ‘દાદા ,તમે પણ મારી સાથે આવશોને ? કહે છે.’
કલ્યાણીના લગ્ન માટે દાદાજી દરરોજ નવતર વસ્તુઓ લાવતા પણ દાદાજીને છોડીને જવાનું એને ગમતું નથી. એ ઉદાસ બની જાય છે. સોળ વર્ષથી એ દાદાજી જોડે એવી એકત્વ બની ગઈ કે જુદા પડવું એ દેહથી પ્રાણને જુદા પાડવા જેવી વાત લાગે છે.
લગ્ન પછી વિદાય થતાં કલ્યાણીની આંખોમાંથી શ્રાવણધાર નીતરી રહે છે. સાસરે જતાં રસ્તામાં એક જંકસન હતું જ્યાંથી ગાડી બદલવાની હતી ત્યાં એ કલાક રોકાવાનું હતું: કલ્યાણી દાદાજી શું કરતાં હશે ? તેમની તબિયત સારી નથી તો તેમને દવા કોણ આપશે ? આ બધા પ્રશ્નો વિચારી રહી હતી ત્યાં નજર સામે એક ઘરડા રેંકડીવાળા ચાચાને જુએ છે. તે દાદાજી જેવા લાગતા હતાં. તેનો તેની પૌત્રી સાથેનો સંવાદ સાંભળી કલ્યાણી દાદાજીના વિચોરમાં ખોવાઈ જાય છે.
કોઈને પણ કહ્યા વિના કલ્યાણી સાસરે જતાં અડધે રસ્તેથી પોતાનાં ઘર તરફ બાદલપુર જતી ટ્રેઈનમાં બેસી જાય છે ને ઘેર આવી જાય છે. અને દાદાજીનું માથું ખોળામાં લઈ દબાવવા લાગી ને બોલી 'હવે તમને છોડીને ક્યાંય નહિ જાઉં, દાદાજી !'
આમ અનાથ કલ્યાણીનો જિદુનાથ - દાદાજી પ્રત્યેનો અતૂટ પ્રેમ આલેખાયો છે. કલ્યાણીને જિદુનાથ કેવા એકમેકના આધાર બની ગયા છે તેનું ભાવવાહી આલેખન આ પાઠમાં કરાયું છે.