વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્લી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્લીનાં બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત, વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ, તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા.
આમ, અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા-લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા.