ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીરપુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે, તેને 'પાળિયા' કહેવામાં આવે છે. જે નીડર સ્ત્રીઓએ જૌહર કર્યું હોય કે તે સતી થઈ હોય, તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે, તેને 'સતીના પાળિયા' કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ વીરપુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાનો પાળિયો મોટા ભાગે તેના યુદ્ધસ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. પાળિયાની વર્ષમાં તેની મૃત્યુતિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીરપુરુષના બલિદાનને બિરદાવે છે. ગુજરાતમાં પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સુરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે.