આ પંક્તિઓમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્વ સમજાવ્યું છે. કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દ્રઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી. ‘મન હોય તો માળવે જવાય’, ‘રોતો જાય એ મૂઆના સમાચાર લાવે’ જેવી કહેવતો પણ પ્રસ્તૃત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઈચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે –‘અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.’
આપણે પણ દ્રઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.