કવિરાજ ગગુભા “હડાળાં” ગામના દરબારનાં રાજકવિ હતાં. તે સનાળી ગામમાં રહેતા હતા. હડાળા, ગામમાં દરબારી ગઢમાં ડાયરો ભરાય તેમાં એક તરફ ચારણ કવિ ગગુભા હોય, ને સામે સમુદ્ર જેવાં દરબાર વાજસુર વાળાની બેઠકો થાય. લોકો આ ડાયરો માણે ને જાણે. ક્યારેક ડાયરામાં મોંઘેરા મહેમાન એવા કલાના સાગર 'કલાપી' ની પણ હાજરી હોય ! આમ, દરબાર ગઢમાં અલગ-અલગ ગામથી આવતાં સૌ મહેમાનોની સાથે ગગુભાને ધર્મ, સત્ય, સાહિત્ય જેવા વિવિધ વિષયો પર “ડાયરો'' કરવાનું ને માણવાનું થતું. કવિરાજ ગગુભા નીડર ને નિખાલસ સ્વભાવનાં હતાં. દરબાર સાહેબની પોતાના ઘરે પધરામણી થઈ ત્યારે આનંદવિભોર બની ગયા. ખૂબ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું. દરબાર સાહેબનાં અનાજ પાણી અંગેના (ખેત ઉપજ), પ્રશ્નનાં ઉત્તરમાં તેમણે નબળો ઉત્તર આપ્યો - 'છે નંઈ જેવા....' આ ઉત્તર સાંભળતાં દરબાર સાહેબે કવિરાજ ગગુભાનાં ગામમાં ગાડા ભરી અનાજ પહોંચાડ્યું - અને તે પણ, ગામ પડોંચ્યાનાં બીજા જ દિવસે ! આવા રાજા-પ્રજા વચ્ચેનાં સંબંધો આત્મીય ભરેલા હતા. પરંતુ વ્યક્તિ તરીકે કવિરાજનાં શબ્દોનો પ્રભાવ અને દરબાર સાહેબ તરીકે “રાજા”ની વ્યાકૂળતા. આ બંનેનાં ફળસ્વરૂપે 'સનાળી' ગામનું ઓછા, નહિવત વરસાદે બગાડેલ વર્ષ સુધરી ગયું. ગામ લોકોને જરૂરી અનાજ મળ્યું - અને એનો મહદઅંશે જો યશ આપવો ઘટે તો તે કવિરાજ ગગુભાને ફાળે જ જાય. ગગુભાએ આનો યશ નથી લીધો. ઊલટાનું એમને તો “સ્વાર્થી-લાલચું” ગણાવવાની ભાવના મનમાં થઈ આવી.