ખજુરાહો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં સ્થિત એક પ્રમુખ શહેર છે, જે તેના પ્રાચીન તેમ જ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. ખજુરાહો નગરને પ્રાચીન સમયમાં “ખજૂરપુરા” તેમ જ “ખજૂર વાહિકા” નામથી પણ ઓળખવામાં આવતું હતું. આ નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો આવેલા છે. મંદિરોનું શહેર ખજુરાહો આખા વિશ્વમાં પથ્થરો પર કોતરેલા શિલ્પકામ માટે પ્રસિદ્ધ છે. ભારત ઉપરાંત દુનિયાભરના પર્યટકો આ અપ્રતિમ સૌંદર્યના પ્રતીકને જોવા માટે અહીં આવે છે. હિંદુ કલા અને સંસ્કૃતિને શિલ્પીઓએ આ શહેરના પથ્થરો પર મધ્યકાલીન સમયમાં કંડારીને જગતભરમાં પ્રસિદ્ધિ અપાવી છે. કામશાસ્ત્રની વિભિન્ન કલાઓ આ મંદિરોમાં ખૂબ જ સુંદરતાથી કંડારવામાં આવી છે.
ખજુરાહોના મંદિરોમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે. મંદિરના તોરણની આલંકારિક શૈલી સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. ખજુરાહોના મંદિરોને પશ્ચિમ, પૂર્વી તથા દક્ષિણના ક્ષેત્રસમૂહોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ચોસઠ યોગિનીના મંદિર ઉપરાંત લગુઆ મહાદેવ મંદિર, પાર્વતી મંદિર, લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર તથા ચતુર્ભુજ મંદિર વગેરે અહીંના પ્રસિદ્ધ મંદિરો છે.