'આંટી' કૃતિમાં લેખક શ્રી પન્નાલાલ પટેલે સમાજમાં જવલ્લે જોવા મળતા એવા એક ઉમદા પાત્રનું સરળ ભાષામાં ચિત્રણ કર્યું છે પોતાના અને પારકા સૌ કોઈ પર વિશ્વાસ મૂકીને ચાલનારા ઈચ્છાશંકરનો જીવનમંત્ર જ જાણે 'વિશ્વાસ' બની ચૂકયો હતો, જે તેમના ભાઈ અને ભાઈનાં પરિવારને આવરી લેતો. મોટાભાઈની થોડી સ્વાર્થી ને લાલચુ વૃત્તિ સામે ઈચ્છાશંકરના શુભર્ચિતકો અંગૂલી નિદેશ કરી લાલબત્તી ધરવા પ્રત્યન કરતાં, પરંતુ ઉચ્ચ કુટુંબભાવના આગળ આવી ફરિયાદને ગણકારવા ઈચ્છાશંકરનું મન કે દિલ તેયાર ન થતાં. ઉમદા વિભાવના કયાં સુધી ટકી શકે - એ દર્શાવવાનો લેખકનો આશય હોય, તેમ એક સાવ મામૂલી કહી શકાય તેવો પ્રસંગ રજૂ કરીને લેખકે વાર્તાને તેમજ ઈચ્છાશંકરની મોટાભાઈ પ્રત્યેની લાગણીને સંપૂર્ણ ૧૮૦ અંશ ડીગ્રીનો વળાંક આપી દીધો છે. ઈચ્છાશંકર જયારે મોટાભાઈનાં હાથમાં રહેલી મોટી કેરી - હાથની આંટી વડે પોતાના દિકરાને આપવાનું દશ્ય જુએ છે, અને ઈચ્છાશંકરના દિકરાને નાની કેરી મળે તે જુએ છે - ત્યારે તેમણે નિર્ણય કરી લીધો કે મને કદાચ અન્યાય થયો હોય અને / અથવા અન્યાય થાય, તે હું સ્વીકારી શકું, પરંતુ આવનારી પેઢીનાં આ બે પિતરાઈઓ વચ્ચેની આવી ભેદ-રેખાને ભૂલીને તે પ્રકારની ભાવના / વૃત્તિને વેગ આપવો તે તેમના માટે અન્યાય સમાન બની રહે અને મનભેદ તેમજ મતભેદની દીવાલ ઊંચી ને ઊંચી બનાવતી રહે. આ સત્ય જાણી સમજીને અગમચેતીના પગલા રૂપે ઈચ્છાશંકર મોટાભાઈ મૂળશંકર સાથે ભાગ વહેચી લે છે.